આનંદો:ભુજની કોલેજમાં કોઇ ફી ભર્યા વિના ફિઝિયોથેરાપિસ્ટ બની શકાશે
ચાણક્ય કોલેજે ‘આત્મ નિર્ભર’ બનવા માટે કરી નવતર પહેલ
વૈશ્વિક મહામારી કોરોનાને લઇને જાહેર કરાયેલા લોક ડાઉનને કારણે અનેક ક્ષેત્રે પડેલા આર્થિક ફટકામાંથી દેશને ઉભો કરવા વડા પ્રધાન મોદીએ આત્મ નિર્ભર યોજના અમલમાં મૂકી છે. આ પ્રયાસથી પ્રેરાઇને ભુજની ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા પણ ચાલુ સાલે પ્રવેશ લેનારા વિદ્યાર્થી પાસેથી કોઇપણ પ્રકારની ફી ન લેવાની નવતર પહેલ કરી છે. ચાર વર્ષનો અભ્યાસ અને 6 માસની તાલીમ સંપન્ન કર્યા બાદ આ કોલેજમાંથી ફિઝિયોથેરાપિસ્ટની ડિગ્રી મેળવનારે સ્વકમાઇમાંથી ફી ભરવાની રહેશે.
પ્રેરક પહેલની માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતાં તક્ષશિલા એજ્યૂકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડીરેક્ટર પંકજ મહેતાએ જણાવ્યું હતું કે, લોક ડાઉન બાદ ફિઝિયોથેરાપી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક અનેક મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓ કોલેજની મુલાકાતે આવ્યા હતા પણ આવા છાત્રોને ક્યાંક ને ક્યાંક આર્થિક સમસ્યા નડતી હોય તેવું ટ્રસ્ટી મંડળને જણાયું હતું. તો નર્સિંગના અભ્યાસક્રમમાં ઓછી ફી હોવાના કારણે કેટલાકે નાછૂટકે એડમિશન લીધું હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ વિકટ સંજોગોમાં સહાય રૂપ થવા ટ્રસ્ટ દ્વારા ચાલુ વર્ષે કોલેજમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થી પાસેથી એકપણ રૂપિયો ન લેવા નિર્ણય લેવાયો છે. ચાર વર્ષના કોર્સમાં દરેક વર્ષે 92 હજારની ફી છે. જે ચારેય વર્ષ દરમિયાન નહીં લેવાય. ફિઝિયોથેરાપીસ્ટ તરીકે ડોક્ટરની ડિગ્રી મેળવીને વિદ્યાર્થી પાસ આઉટ થયા બાદ પોતાનું ક્લિનિક શરૂ કરીને આત્મ નિર્ભર બનશે ત્યાર બાદ ચાર વર્ષની ફી ભરવાની રહેશે. હાલે તમામ 60 બેઠક પર આ યોજના અમલી બનાવાશે અને આગામી બે વર્ષ માટે પણ અડધો અડધ બેઠક પર જરૂરતમંદ કે મધ્યમ વર્ગીય વિદ્યાર્થી પાસે આવી રીતે કોઇ ફી ન લેવાનું વિચારાધિન છે તેમ મેનેજિંગ ડિરેક્ટરે ઉમેર્યું હતું. આરંભે સીઇઓ મેહવિશ મેમણે ઉપસ્થિતોને આવકાર્યા હતા. વાઇસ ચેરમેન સંદીપ દોશી તેમજ કોલેજના પ્રિન્સિપાલ ડો. રાજકિરણ ટીકુએ પૂરક વિગતો આપતાં વધુ માહિતી માટે મો.નં. 72039 33817 અને 99832 29228નો સંપર્ક કરવા જણાવ્યું હતું.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો