અર્નબ દિવાળી જેલમાં જ કરશે:5 દિવસથી જેલમાં રહેલા અર્નબ ગોસ્વામીની જામીન અરજી હાઈ કોર્ટે ફગાવી દીધી, હાઇકોર્ટે કહ્યું- નીચલી અદાલતમાં અપીલ કરો.
અર્નબ દિવાળી જેલમાં જ કરશે:5 દિવસથી જેલમાં રહેલા અર્નબ ગોસ્વામીની જામીન અરજી હાઈ કોર્ટે ફગાવી દીધી, હાઇકોર્ટે કહ્યું- નીચલી અદાલતમાં અપીલ કરો.
મુંબઈ હાઈ કોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર- ઈન-ચીફ અર્નબ ગોસ્વામીએ દાખલ કરેલી જામીન અરજી સોમવારે ફગાવી દીધી હતી. 2018માં ઇન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાઈકને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના કેસમાં અર્નબ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ પછી તુરંત તેમણે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. મુંબઈ હાઈ કોર્ટમાં જસ્ટિસ એસ. એસ. શિંદે અને એમ.એસ. કર્ણિકની ખંડપીઠે સોમવારે અર્નબની જામીન અરજી ફગાવી દીધી હતી. અર્નબને આ સાથે નિયમિત જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવાની છૂટ આપી હતી.
એક ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપમાં અર્નબની મુંબઈ પોલીસે નવેમ્બર 4ના રોજ ધરપકડ કરી હતી.
રાજ્યપાલે અર્નબની સુરક્ષા અંગે ગૃહમંત્રી સાથે વાત કરી
મહારાષ્ટ્ર રાજભવન તરફથી એક નિવેદન આવ્યું છે કે અર્નબના મામલે રાજ્યપાલ બી.એસ. કોશ્યારીએ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે વાત કરી છે. રાજ્યપાલે અર્નબની સુરક્ષા અને આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરી. એ જ સમયે તેમણે ગૃહમંત્રીને કહ્યું હતું કે અર્નબના પરિવારને તેમની સાથે મળવા અને વાત કરવાની છૂટ આપવામાં આવે.
પોલીસે કહ્યું- અર્નબે જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ ફોનનો ઉપયોગ કર્યો
રાયગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે અર્નબને 18 નવેમ્બર સુધીમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ત્યાર બાદ તેને શનિવારની રાત સુધી અલીબાગની એક શાળામાં ક્વોરન્ટીન સેન્ટર (અસ્થાયી જેલ)માં રાખવામાં આવ્યો હતો. રવિવારે સવારે તેને તલોજા જેલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવા છતાં અર્નબ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા અને ન્યાયિક કસ્ટડી હોવા છતાં સોશિયલ મીડિયા પર સક્રિય હતો.
અર્નબનો દાવો- પોલીસ ટોર્ચર કરી રહી
તલોજા જેલમાં જતા સમયે અર્નબે કહ્યું હતું કે તેના જીવને જોખમ છે. તેને વકીલ સાથે વાત કરવા દેવામાં આવી નથી. કસ્ટડીમાં તેને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. શનિવારે અર્નબના વકીલે હાઈકોર્ટમાં સ્પ્લિમેન્ટ્રી અરજી કરી હતી, જેમાં અર્નબે દાવો કર્યો હતો કે પોલીસે તેને જૂતા વડે માર માર્યો અને તેને પાણી પીવા પણ દીધું ન હતું.
અર્નબ પર આરોપ- માતા-પુત્રને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા
મુંબઈમાં ઈન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાયક અને તેની માતા કુમુદિનીએ મે 2018માં આત્મહત્યા કરી હતી. સુસાઇડ નોટમાં અર્નબ સહિત 3 લોકો પર આરોપ લગાવ્યો હતો. સુસાઇડ નોટ મુજબ અર્નબ અને અન્ય આરોપીઓએ નાયકને એક અલગ-અલગ પ્રોજેક્ટ માટે ડિઝાઇનર રાખ્યો હતો, પરંતુ આશરે 5.40 કરોડ રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું, જેને કારણે અન્વયની આર્થિક સ્થિતિ કથળી હતી. નાયકે રિપબ્લિક ટીવીનો સ્ટુડિયો તૈયાર કર્યો હતો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો