મહામારી વચ્ચે જાગૃતિ વધી:કચ્છી માડુને પોસ્ટ ઓફિસનું 19.47 કરોડનું સુરક્ષા કવચ. કોરોનાના માર બાદ જિલ્લાના વધુ લોકો પોસ્ટમાં થાપણ મુકતા થયા
મહામારી વચ્ચે જાગૃતિ વધી:કચ્છી માડુને પોસ્ટ ઓફિસનું 19.47 કરોડનું સુરક્ષા કવચ.
કોરોનાના માર બાદ જિલ્લાના વધુ લોકો પોસ્ટમાં થાપણ મુકતા થયા
માત્ર છ મહિનામાં જ 427 લોકોએ લીધી જીવન વીમા પોલિસી
કોરોના મહામારીના પગલે લોકડાઉન બાદ કચ્છના લોકો પોસ્ટ ઓફિસમાં વીમા પોલિસી લેવાની સાથે થાપણો મુકતા થયા છે. છેલ્લા છ મહિનામાં પોસ્ટ ઓફિસની બે વીમા યોજનામાં કચ્છી માડુએ 19.47 કરોડનું રોકાણ કર્યું છે.
ક્ષણભંગુર જીવન ગમે ત્યારે ક્ષીણ થઇ જશે. વર્તમાન સમયે કોરોના મહામારીએ લોકોની આર્થિક કેડ ભાંગી નાખી છે અને કેટલા લોકોના જીવ લઇ લીધા છે. જો કે, કાતિલ કોરોનાએ લોકોને બચત કરતા શીખવ્યા છે. અગાઉ પણ લોકો બચત કરતા હતા અને વીમા પોલિસી લેતા જ હતા પરંતુ લોકડાઉન બાદ ખાસ કરીને પોસ્ટ ઓફિસમાં વધુ લોકો થાપણ મુકતા થયા છે.
આ અંગે વિગતો આપતા પોસ્ટ ઓફિસના અધિક્ષક મહેશ પરમારે જણાવ્યું હતું કે, કોરોનામાં લોકડાઉન બાદ વધુ લોકો વીમા પોલિસી લેતા થયા છે. પોસ્ટ ઓફિસમાં બે વીમા પોલિસી યોજના હાલની સ્થિતિએ અમલી છે, જેમાં પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ અને રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સનો સમાવેશ થાય છે. તા.1/4થી તા.30/9 સુધીમાં એટલે કે, માત્ર છ મહિનાના સમયગાળામાં 427લોકોએ વીમારૂપી સુરક્ષા કવચ મેળવ્યું છે.
બે વીમા પોલિસી પૈકી પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સની 271લોકોએ પોલિસી લીધી છે, જેમાં પ્રથમ પ્રીમિયમ પેટે રૂ.11,35,337 એકત્ર કરાયા છે. જયારે રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સની 156 લોકોએ પોલિસી લીધી છે. આ પોલિસીના પ્રથમ પ્રીમિયમ પેટે રૂ.1,27,566 પોલિસી ધારકો પાસેથી લેવામાં આવ્યા છે. વધુમાં વીમા પોલિસી પેટે કચ્છી માડુએ રૂ.19,47,95,000નું રોકાણ કર્યું છે.
બેંકોની સરખામણીમાં વધુ વ્યાજ અપાતાં લોકો પોસ્ટ ઓફિસ તરફ વળ્યાં
સિનિયર સિટીઝનને હયાતીનું પ્રમાણપત્ર ઘેર બેઠા મળશે
પોસ્ટ ઓફિસ દ્વારા કોમન સર્વિસ સેન્ટર મારફતે 73 જેટલી સેવાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે હવે લોકોને હયાતીનું પ્રમાણપત્ર પણ ઘર બેઠા મળી શકશે. પોસ્ટ ઓફિસના અધિક્ષક મહેશ પરમારે જણાવ્યું હતું કે, પેન્શનરોએ સમયાંતરે હયાતીનું પ્રમાણપત્ર આપવું પડતું હોય છે. આ માટે તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તે જીવન પ્રમાણ એટલે કે, હયાતીનું પ્રમાણપત્ર હવે પોસ્ટમેન દ્વારા જે-તે સિનિયર સિટીઝનને તેમના ઘેર પહોંચતું કરાશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુ 1140 ખાતામાં થાપણ મુકાઇ
કચ્છના લોકો હવે દીકરીઓને પારકી થાપણ ન માનતા હવે દીકરીઓના નામે પણ થાપણ મુકતા થયા છે. લોકડાઉન બાદ છ મહિનામાં જ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 1140 ખાતા ખુલી ચુક્યા છે. વધુમાં આ યોજના અન્વયે પાંચ નાણાકીય વર્ષ પર દ્રષ્ટિપાત કરીએ તો 2015-16માં 5980, 2016-17માં 2626, 2017-18માં 2186, 2019-19માં 2390 અને 2019-20માં 3099 ખાતા ખોલવામાં આવ્યા છે.
લોકડાઉન બાદ છ મહિનામાં 37,780 નવા ખાતેદારો
પોસ્ટ ઓફિસ અધિક્ષક પરમારે જણાવ્યું હતું કે, બેંકની સરખામણીએ પોસ્ટ ઓફિસનો વ્યાજદર ઉંચો છે, જેથી પોસ્ટ ઓફિસની સેવાઓનો વધુ લોકો લાભ લેતા થયા છે. માત્ર છ મહિનામાં બચત ખાતું, રિકરીંગ ડિપોઝિટ, ટાઇમ ડિપોઝિટ, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટીફિકેટ (રાષ્ટ્રીય બચત પત્ર), સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, મંથલી ઇન્કમ સ્કીમના કુલ 37,780 ખાતા ખુલ્યા છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો